Feb 072011
 

પ્રિય મિત્રો,

ઈચ્છા મૃત્યુ વિશે થોડા સમય પહેલાં સંજય લીલા ભણસાળીની એક ફિલ્મ આવી હતી, ગુજારીશ. ફિલ્મ જોઈને ઈચ્છા મૃત્યુ વિશે બ્લૉગ પર લખવાનો વિચાર આવ્યો. ઈચ્છા મૃત્યુ વિશે મારા વિચારો રજુ કરું તે પહેલાં, ચાલો, આજે આપણે જાણીતા લેખક અને પત્રકાર શ્રી સૌરભ શાહના વિચારો જાણીએ. આ લેખ તેમના પુસ્તક મનની બાયપાસ સર્જરીમાંથી (પરવાનગી સાથે) લેવામાં આવ્યો છે:

જે પોષતું તે મારતુંનો કુદરતી ક્રમ ખોરવાઈ જાય ત્યારે – સૌરભ શાહ

૧૯૮૦માં ભારતની સંસદમાં મર્સી કિલિંગ અંગેનો એક ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડામાં એવું સૂચન હતું કે અસાધ્ય રોગથી પીડાતી કે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયેલી અત્યંત બીમાર વ્યક્તિ પોતાના મૃત્યુ માટે જિલ્લા સરકારી હૉસ્પિટલના સિવિલ સર્જ્યનને અરજી કરી શકે અથવા પોતાના સ્વજન દ્વારા કરાવી શકે. સિવિલ સર્જ્યન જે નિર્ણય આપે તે વિશે એક તબીબ બોર્ડ તપાસ કરે અને જિલ્લા મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાની દરખાસ્ત રજૂ કરે. મૅજિસ્ટ્રેટ હકીકતોની ચોકસાઈ કરી પરવાનગી આપે અને સિવિલ સર્જ્યન દર્દીની ઈચ્છા પ્રમાણે એને મોત બક્ષે.

તે વખતના કોંગ્રેસી સંસદસભ્ય મૂલચંદ બગ્ગાએ આ કાંતિકારી ખરડો લોકસભામાં રજૂ કર્યો ત્યારે બહુમતી એમની વિરુદ્ધ થઈ ગઈ. ખરડો કાયદો ન બની શક્યો. આપણી રૂઢિચુસ્તતા અને આપણા બંધિયાર દિમાગો આવા વિચારોનો સ્વીકાર ન કરે એમાં નવાઈ નથી. પશ્ચિમના દેશોમાં યુથેનેસિયા (કષ્ટ વિનાનું સ્વૈચ્છિક મૃત્યુ) સામાન્ય બની જશે ત્યારે આપણે આની પાછળની ભાવના સમજી શકીશું, તે પહેલાં નહીં. કૂવામાં રહેતો ભારતીય સમાજ બપોરે જ સૂરજ જોઈ શકે છે. એના માટે એ સૂર્યોદય હોય છે. Continue reading »

Apr 142010
 

જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો તમે શું કરો

આ જીવન તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું જ છે એવી ફિલસૂફીઓ બહુ થઈ.

વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં વર્ષ જીવવું પસંદ કરો? દીકરી એસ.એસ.સી. થઈ જાય ત્યાં સુધી? દીકરો પરણી જાય ત્યાં સુધી? દીકરાને ત્યાં પારણું બંધાય ત્યાં સુધી? દીકરાને ભણવા માટે અમેરિકા મોકલવાનું સપનું હતું. ના જામ્યું. દીકરાનો દીકરો પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભણીને ડિગ્રી લે ત્યારે એના કોન્વોકેશન ફંકશનમાં જવું છે.

ભગવાન ત્રાસી જાય ત્યાં સુધી તમે મૃત્યુને મુલતવી રાખવા માગો છો. એટલે હવે નક્કી એવું થયું છે કે જીવવા માટે તમારી પાસે પૂરા ત્રીસ દિવસ, રોકડા સાતસો વીસ કલાક બાકી છે. ત્રીસ દિવસ પછી છાપામાં તમારી છબી સાથે ફૂલ ગયું ફોરમ રહી ગઈવાળી જાહેરખબર આપવાનું તમારા ભાગ્યમાં લખાઈ ગયું છે. તો હવે આ ત્રીસ દિવસમાં તમે શું શું કરો?

જિંદગીના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય? કોના કોનાથી છૂટા પડી જવાનું મન થાય? કયા દોસ્તો સાથે મેહાગની લાઉન્જના સોફામાં બેસીને એન્ટિક્વિટીના ચાર કડક પેગ પીવાનું પસંદ કરો? કોની જોડે ગંગોત્રી-યમુનોત્રીની યાત્રાએ જાવાનું મન થાય?

કયાં ત્રણ પુસ્તકો ફરીથી વાંચી લેવાનું મન થાય? જિંદગીમાં ક્યારેય ન વાંચ્યાં હોય પણ વાંચવાની વારંવાર ઈચ્છા થઈ હોય એવાં કયાં ત્રણ પુસ્તકો વાંચી લેવાનું મન થાય? જિંદગીની છેલ્લી કઈ ચાર ફિલ્મો જોઈ લેવાની લાલચ થાય? છેલ્લા મહિનામાં કેટલી વાર બાબુલનાથની પાણીપૂરી ખાવા જાઓ? પાણીપૂરીવાળાને તમારું ખાતું બંધ કરવાનું કહીને બાકી નીકળતી રકમ રોકડી ચૂકવી દેતાં મનમાં સહેજ ચુભન થાય? પાણીપૂરીવાળો તમારી પાસે ખાતું બંધ કરવાનું કારણ પૂછે તો તમે શું કારણ આપો? સાચેસાચું કહી દો? મરતાં પહેલાં કિસી રાહ મેં કિસી મોડ પર કહીં ચલ ના દેના તૂ છોડકર અને વો ભૂલી દાસ્તાં લો ફીર આ ગઈ કેટલી વખત સાંભળી લો? લાકડાથી બળવું છે કે વિદ્યુત ભઠ્ઠીમાં એનો વિકલ્પ નક્કી કર્યા પછી ભૂંજેલી બદામનો આઈસક્રીમ ખાઓ કે અંજીરનો? Continue reading »

Apr 142010
 

પ્રિય મિત્રો,

આજે મારા પ્રિય લેખક અને મિત્ર એવા સૌરભભાઈ શાહનો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની વધામણી સાથે તેમનો આ લેખ (તેમની પરવાનગી સાથે) અહીં મૂકું છું. આ લેખ તેમના પુસ્તક ‘એકત્રીસ સુવર્ણમુદ્રાઓ‘માંથી લીધો છે.

બીજો લેખ સાંજે સાત વાગે પ્રસિદ્ધ થશે.

ઓવર ટુ, સૌરભ શાહ…

-વિનય ખત્રી

ઍન્થની અને અમૂલખચંદનાં નામ વચ્ચે શું સામ્ય છે?

ચુનીભાઈ પટેલ અમેરિકા જઈને પોતાનું નામ ચાર્લી રાખી લે કે જીવાભાઈ જોર્જ બની જાય ત્યારે ભારતમાં વસતા તેમના ભાઈઓને મજા પડે છે. દેશી ભાઈઓને ખબર નથી હોતી કે ચાર્લી, જોર્જ, રૉબર્ટ અને રીટા જેવાં નામોમાં પણ ઢંગ હોય છે, ધડો હોય છે અને ખૂબસૂરત અર્થ પણ હોય છે.

કીર્તિભાઈ, અમૂલખચંદ, શાંતિલાલ અને હસમુખભાઈએ અમેરિકા જઈને નામ બદલી નાખવાં હોય તો ક્યાં નામ રાખી શકે? કીર્તિભાઈનું નામ રૉબર્ટ હોય તો ચાલે. ટ્યુટોનિક ભાષાના આ રૉબર્ટ શબ્દનો અર્થ થાય છે – પ્રસિદ્ધિથી પ્રકાશિત થનાર. અમૂલખચંદ ઍન્થની બની શકે. લૅટિન ભાષામાં અમૂલ્ય એટલે ઍન્થની. હિબ્રુ શબ્દ સોલોમનનો અર્થ થાય છે શાંત અને હિબ્રુનો જ એક બીજો શબ્દ છે આઇઝેક જેને ન્યુટન અટકવાળા વિજ્ઞાનીએ જગવિખ્યાત બનાવી દીધો. આ આઇઝેક નો મતલબ છે હાસ્ય.

અમેરિકી અને યુરોપીય પ્રજાઓમાં મોટા ભાગનાં નામ હિબ્રુ, લૅટિન, ગ્રીક, ટ્યુટોનિક, ઍન્ગ્લો-સેકસન અને કૅલ્ટિક જેવી લાંબો ઈતિહાસ ધરાવતી ભાષાઓમાંથી આવે છે. આ વ્યક્તિવાચક નામના અર્થ પણ આપણી ભાષામાં પ્રચલિત એવા સંસ્કૃતમાંથી ઊતરી આવેલાં નામ જેટલા જ રસિક છે. આપણા પ્રીતમલાલ તે હિબ્રુના ડેવિડભાઈ. ડેવિડ એટલે પ્રિય. નાનાલાલ એટલે લૅટિનમાં પૉલ અર્થાત નાનું. કાલિદાસ એટલે? લૅટિનમાં મૉરિસનો અર્થ થાય છે ઘેરા રંગનું. આપણા નામ સાથેની સરખામણી છોડી દઈએ તોય વિદેશી નામના અર્થ મઝા આવે એવા છે. ચાર્લી નામ જેના પરથી આવ્યું તે ચાર્લ્સ એટલે મજબૂત અથવા પુરુષાતનભર્યો. જિઓ (Geo) એટલે જમીન જેના પરથી આવેલા નામ જોર્જનો ગ્રીક ભાષામાં મતલબ થાય જમીનદાર. Continue reading »

Powered By Indic IME