Posts tagged: સાંઠે બુદ્ધિ નાઠી

બ્લોગ જગતના બહારવટિયા

પ્રિય મિત્રો,

લોકો બહારવટું કરતા એવું આપણે સાંભળ્યું છે તેવી રીતે બ્લોગ જગતમાં પણ કેટલાક બહારવટે ચડ્યા છે. બહારવટિયા દિવસે ડહ્યાડમરા થઈને સમાજમાં રહેતા અને રાત્રે બુકાની બાંધીને બહારવટું કરતા તેમ બ્લોગ જગતના બહારવટિયાઓ પણ બ્લોગ જગતમાં હળીમળીને રહે અને બહારવટાનું કામ પ્રોક્ષીસર્વરની બુકાની બાંધી કરે. સૌપ્રથમ એમ એમ પટેલના નામે એક બહારવટિયો બહાર પડ્યો’તો. તેણે ઊંઝા જોડણીનો બહુ વિરોધ કર્યો. કોઈ શિકારી બન્યો તો કોઇ ફાધર ઓફ શિકારી! એમ એમ પટેલની સામે થયો એક બીજો બહારવટિયો તેણે તકરાર નામે બ્લોગ બનાવ્યો. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

ઊંઝાના વિરોધીએ મારા બ્લોગ પર ઘણી નનામી કોમેન્ટ કરી તેથી મેં તેમને કહ્યું કે ભાઈ! તમે આવી રીતે નનામી કોમેન્ટ મારા બ્લોગ પર કરો છો તેના કરતાં પોતાનો બ્લોગ બનાવો અને મને આમાંથી મુક્તિ આપો. આ બધી વાતો કોમેન્ટમાં થઈ’તી. ઈમેઈલ આપવામાં બુકાની ખુલી જવાનો ડર. મારી વિનંતીને માન આપીને તેમણે બ્લોગ્સ બનાવ્યો – ઊંઝા જોડણી: ગુજરાતીની તોડણી. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

તે પછી ઘણો સમય શાંતિ હતી અને હવે એક નવો બ્લોગ બન્યો છે – સાંઠે બુદ્ધિ નાઠી. જેના વિશે મિત્ર ચિરાગે બધાને જાણ કરી છે તેથી અહીં ફરીથી લખતો નથી. મિત્ર ચિરાગ વકિલ રોકીને બ્લોગર વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાના છે.

નનામી કોમેન્ટ અને નનામા બ્લોગ બહુ જ મોટો માથાનો દુખાવો છે. સમગ્ર ચિત્રને જોતાં આ ઊંઝા તરફીઓ અને વિરોધીઓનો બખેડો છે. મારી જોડણી વિશેની પોસ્ટ પર આવતી નામી અનામી કોમેન્ટ પરથી એટલું સમજી શકું છું કે ફરી પાછા આવા તત્વો સક્રિય થયા છે. (મારે કોમેન્ટ મોડરેશન સુધારવું પડશે!)

મારો કહેવાનો મતલબ એટલો જ કે જે તમને કહેવું જેને કહેવું છે તે સિધે સિધું કહી દોને! આ બુકાનીઓ શા માટે? અને બીજું જ્યારે તમે તમારા વિચાર જાહેરમાં રજુ કરો છો ત્યારે ભાષા પર કાબુ રાખવો જરૂરી. કલુષિત ભાષામાં લખેલા લેખને સખત રીતે વખોડીને વિરમું છું.

નોંધ – આલેખ મારા વિચાર રજુ કરે છે, જે તે બ્લોગનો પ્રચાર નહીં તેથી જે તે બ્લોગની લિન્ક આપવામાં નથી આવી.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.