Posts tagged: બ્લોગ જગત

ફનએનગ્યાન ટૂલબાર અપડૅટ ૨૦૧૦

By વિનય ખત્રી, April 1, 2010 7:00 am

પ્રિય મિત્રો,

આજે પહેલી એપ્રિલ, ના આજે કોઈને ‘ફૂલ’ બનાવવાનો વિચાર નથી. આજે ફનએનગ્યાન.કોમ ડોમેઈનને આજે વર્ષ ૨ વર્ષ પૂરા થયા. આ શુભ દિવસે ફનએનગ્યાન ટુલબાર અપડૅટ કરવાનું ભગિરથ કાર્ય હાથમાં લીધું છે. આપને વિનંતી છે કે આપના બ્લોગની માહિતી નીચે આપેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મેઈલ કરો.

બ્લોગનો વિષય ખાસ જણાવવું જરૂરી છે. આમ કરવાથી હજાર જેટલા બ્લોગમાંથી વાચક તેને ગમતા વિષય પર બ્લોગ માણી શકે. વિષયમાં તમે તમારા બ્લોગને લગતા પાંચેક શબ્દો જણાવો. દા.ત. કવિતા, સ્વરચિત, સંકલિત, રોજનિશી, હાસ્ય, વાર્તા, ગઝલ, રમતગમત, વાનગી, રાજકારણ,  ફિલ્મ, વગેરે…

આપના બ્લોગનો પરિચય નીચે પ્રમાણેના ફોર્મેટમાં

gujblog@gmail.com પર મેઈલ કરો.

આપનું નામ _______________________________________

ઈમેઈલ _________________________________________

હાલ ક્યાં રહો છો? ___________________________________

ગુજરાતમાં ક્યાંના? __________________________________

બ્લોગનું નામ ______________________________________

બ્લોગની લિન્ક _____________________________________

બ્લોગ વિષય ______________________________________

બીજું આપની જાણમાં હોય એવા તમામ બ્લોગરોને જાણ કરવા વિનંતી તેમજ તેમના બ્લોગની લિન્ક મને મોકલાવશો જેથી હું તેમને માહિતી માટે સંપર્ક કરી શકું.

ગુજરાતી બ્લોગ જગત ૧,૦૦૦ના આંકને ક્યારનું પાર કરી ચૂક્યું છે. આટલા બધા બ્લોગનો સમાવેશ કરવો એ અઘરું કામ છે, છતાં બીડું જડ્પ્યું છે. વ્યસ્તતાની વચ્ચેથી સમય કાઢીને ટૂલબાર અપડૅટ કરી આપની સમક્ષ આવતા મહિને રજૂ કરવાનો વિચાર છે.

નોંધ આપના બ્લોગ વિશેની માહિતી અહીં કોમેન્ટમાં ન મૂકતાં ઉપર જાણાવેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મોકલવાની છે.

-વિનય ખત્રી

ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો

By વિનય ખત્રી, March 26, 2010 7:00 am

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]

પ્રિય મિત્રો,

અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!

અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.

આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’ Continue reading 'ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો'»

બ્લોગ જગતના બહારવટિયા

પ્રિય મિત્રો,

લોકો બહારવટું કરતા એવું આપણે સાંભળ્યું છે તેવી રીતે બ્લોગ જગતમાં પણ કેટલાક બહારવટે ચડ્યા છે. બહારવટિયા દિવસે ડહ્યાડમરા થઈને સમાજમાં રહેતા અને રાત્રે બુકાની બાંધીને બહારવટું કરતા તેમ બ્લોગ જગતના બહારવટિયાઓ પણ બ્લોગ જગતમાં હળીમળીને રહે અને બહારવટાનું કામ પ્રોક્ષીસર્વરની બુકાની બાંધી કરે. સૌપ્રથમ એમ એમ પટેલના નામે એક બહારવટિયો બહાર પડ્યો’તો. તેણે ઊંઝા જોડણીનો બહુ વિરોધ કર્યો. કોઈ શિકારી બન્યો તો કોઇ ફાધર ઓફ શિકારી! એમ એમ પટેલની સામે થયો એક બીજો બહારવટિયો તેણે તકરાર નામે બ્લોગ બનાવ્યો. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

ઊંઝાના વિરોધીએ મારા બ્લોગ પર ઘણી નનામી કોમેન્ટ કરી તેથી મેં તેમને કહ્યું કે ભાઈ! તમે આવી રીતે નનામી કોમેન્ટ મારા બ્લોગ પર કરો છો તેના કરતાં પોતાનો બ્લોગ બનાવો અને મને આમાંથી મુક્તિ આપો. આ બધી વાતો કોમેન્ટમાં થઈ’તી. ઈમેઈલ આપવામાં બુકાની ખુલી જવાનો ડર. મારી વિનંતીને માન આપીને તેમણે બ્લોગ્સ બનાવ્યો – ઊંઝા જોડણી: ગુજરાતીની તોડણી. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

તે પછી ઘણો સમય શાંતિ હતી અને હવે એક નવો બ્લોગ બન્યો છે – સાંઠે બુદ્ધિ નાઠી. જેના વિશે મિત્ર ચિરાગે બધાને જાણ કરી છે તેથી અહીં ફરીથી લખતો નથી. મિત્ર ચિરાગ વકિલ રોકીને બ્લોગર વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાના છે.

નનામી કોમેન્ટ અને નનામા બ્લોગ બહુ જ મોટો માથાનો દુખાવો છે. સમગ્ર ચિત્રને જોતાં આ ઊંઝા તરફીઓ અને વિરોધીઓનો બખેડો છે. મારી જોડણી વિશેની પોસ્ટ પર આવતી નામી અનામી કોમેન્ટ પરથી એટલું સમજી શકું છું કે ફરી પાછા આવા તત્વો સક્રિય થયા છે. (મારે કોમેન્ટ મોડરેશન સુધારવું પડશે!)

મારો કહેવાનો મતલબ એટલો જ કે જે તમને કહેવું જેને કહેવું છે તે સિધે સિધું કહી દોને! આ બુકાનીઓ શા માટે? અને બીજું જ્યારે તમે તમારા વિચાર જાહેરમાં રજુ કરો છો ત્યારે ભાષા પર કાબુ રાખવો જરૂરી. કલુષિત ભાષામાં લખેલા લેખને સખત રીતે વખોડીને વિરમું છું.

નોંધ – આલેખ મારા વિચાર રજુ કરે છે, જે તે બ્લોગનો પ્રચાર નહીં તેથી જે તે બ્લોગની લિન્ક આપવામાં નથી આવી.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.