પ્રિય મિત્રો,

તમે જાણીતી દુકાનો પર આવા પાટિયાં વાંચ્યા હશે કે અમારી બીજી કોઇ શાખા નથી, નકલખોરોથી સાવધાન, ભળતા નામે ભોળવાશો નહીં વગેરે… હવે આપણે પણ આવા પાટિયા ચિતરાવી આપણા બ્લૉગ/વેબસાઈટ પર મૂકવા પડશે. આ મતલબનો એક લેખ માર્ચ ૨૦૦૯માં અહીં મૂક્યો હતો અમારી બીજી કોઈ શાખા નથી આજે ફરી એ જ શિર્ષક સાથે લેખ મૂકી રહ્યો છું. કારણ, તમે જાતે જ જોઈ લો:

Continue reading »

 

પ્રિય મિત્રો,

‘સમાજમાં રાંધીને ખાવાવાળા હોય છે તેમજ માગીને ખાવાવાળા પણ હોય છે, ડિટ્ટો બ્લોગ જગત. ‘ એક વખત એક બ્લોગ પર કૉપી-પેસ્ટ બાબત દલીલ કરતાં આ ઉપમા વાપરી તો બ્લોગરને બહુ માઠું લાગી ગયું: ‘વિનયભાઈએ અમને માગીને ખાવાવાળા કહ્યા!’

મને મારી ભૂલ સમજાણી, રવાની વાનગીના શોખીનો આગળ ‘ઉપમા’ની વાત ન કરાય. ;) એટલે મેં પછી રવાની ઉપમા બનાવવાને બદલે શીરો કર્યો ત્યારે તેમને મારી વાત ગળે ઊતરી. મેં કહ્યું: ઘરે આવેલા મહેમાનને યજમાન ઘરનું રાંધેલું ખવડાવી શકે છે તેવી જ રીતે બહારથી ખાવાનું લાવીને જમાડી શકે છે (તેનો વાંધો હોઈ જ ન શકે). વાંધો ત્યારે આવે જ્યારે યજમાન બહારથી લઈ આવેલું ભોજન ઘરે બનાવ્યું છે એવા આગ્રહ સાથે જમાડે.

આ જ બદમાશી કૉપીકેટ બ્લોગરો પોતાના વાચકો સાથે કરે છે. કોઈકના બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવી પોતાના બ્લોગ એવી રીતે મુકે જાણે પોતાનું જ લખાણ છે! પોતાના વાચકોની આંખમાં ધૂળ નાખીને પોતાને સર્જક તરીકે ઓળખાવતા આ કૉપીકેટરો પોતાની લખવાની આવડતને કેળવવાને બદલે ગમે તે ભોગે પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં નકલને રવાડે ચડીને પોતાની જાતને ચોર સાબિત કરવા લાગી જતા હોય છે. Continue reading »

 

પ્રિય મિત્રો,

જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના લેખોમાં જેમ ગીધુકાકાનો ઉલ્લેખ આવે છે તેમ અમારે પણ એક ખીચીકાકા છે. ના, તેઓ કોઈ પણ રીતે ખીચી (-ના પાપડ) સાથે સંકડાયેલા નથી. તેમનું નામ ખીમજીભાઈ ચીમનલાલ છે એટલે ટૂંકમાં ખીચીકાકા તરીકે ઓળખાય છે. તેમની ઉંમર ૯૦ પ્લસ. વર્ષોથી મુંબઈમાં રહે છે. એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી હાલ નિવૃત જીવન ગાળે છે. નવરાસના સમયમાં બ્લૉગ વાંચે છે. તેમના દિકરાઓએ મોટી સાઈઝના મોનિટરવાળું કોમ્પ્યુટર વસાવ્યું છે. ટેલી પ્રોમ્ટરમાં હોય એવા મોટા ફોન્ટમાં અક્ષરો વંચાય એવી સેટિંગ કરી રાખી છે.

કૉપી-પેસ્ટ વિશે ઉપરા ઉપરી બે પોસ્ટ કરી તો તેમનો મને ફોન આવ્યો. મને કહ્યું: ‘વિનય, એક પોસ્ટમાં તું નકલકારોને વાનર સાથે સરખાવે છે અને બીજી પોસ્ટમાં તેમને કૉપીકેટ એટલે કે બિલાડી નકલ કહે છે. પણ મને લાગે છે કે તારી આ બંને ઉપમાઓ ખોટી છે.’

‘મને પૂછીશ તો હું તેમને ઘેટાની ઉપમા આપીશ. એન્થની (અમિતાભ) અને ગજની (આમીર) એ બ્લોગ બનાવ્યો એટલે આપણે પણ બ્લોગ બનાવવો. બ્લોગ માટેની આવડત કે મહેનત કરવાની તૈયારી હોય કે ન હોય.’

‘અથવા તો તેમને રખડુ જાનવરની ઉપમા આપી શકાય. જ્યાં કંઈક સારું દેખાયું ત્યાં મોઢું નાખી દેવાનું. પોતાનું કરી લેવાનું. કોઈ વાંધો લે તો કહેવાનું કે ગમતાનો કરીએ ગુલાલ!’ Continue reading »

 

પ્રિય મિત્રો,

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે એક ફિલ્મ આવી હતી, કોઈનું મિંઢળ કોઈના હાથે! આવું જ કંઈક થઈ રહ્યું છે સાહિત્યકારોની રચનાઓ સાથે!

આજે ઘનશ્યામભાઈ ઠક્કરે પોતાના બ્લૉગ પર એક પોસ્ટ મૂકીને ફરિયાદ કરી છે કે કોરલ શાહ નામની બ્લૉગરે તેમની રચનાને અખા ભગતની રચના તરીકે રજુ કરી છે (જુઓ નીચેનો સ્ક્રિન શોટ)! રચનાને બ્લૉગ પર પ્રસિદ્ધ કરવા માટેની પરવાનગી લીધી નથી કે જાણ કરી નથી. રચનાની નીચે તેમનું નામ લખ્યું નથી કે તેમના બ્લોગની લિન્ક આપી નથી.

મિત્રો, આવું આ પહેલી વખત નથી થયું, આ કૉપીકેટ બ્લોગરોને પોસ્ટ મૂકવાની બહુ જ ઉતાવળ હોય છે અને તેમની પાસે પોસ્ટમાં જે લખાણ મૂકવાનું હોય છે તે વાંચવાનો સમય હોતો નથી (અને તેઓ જરૂરી સમજતા પણ નથી કારણ કે બ્લોગ તેમના વાચક મિત્રો માટે હોય છે, તેમના પોતાના માટે નહીં!) રચના પ્રસિદ્ધ કરતાં પહેલા પરવાનગી લેવાની વાત તો દૂર પણ પ્રસિદ્ધ કરીને જાણ કરવાની તસ્દી લેતા નથી, રચનાની નીચે રચનાકારનું નામ ન લખીને રચના પોતાની છે એવો ભ્રમ ઊભો કરવાની બદમાશી કરતા હોય છે. કૉમેન્ટ કરનાર રચનાબ્લોગરની પોતાની લખેલી છે એવા મતલબની કૉમેન્ટ કરે તો પોતે લેખક નથી એવી ચોખવટ કરવાને બદલે આભાર વ્યક્ત કરતા જોવા મળે છે! લિન્ક આપવાનું ટાળતા જોવા મળે છે કારણ કે લિન્ક આપે તો તેમની નકલ ખુલ્લી પડી જાય!

ઉપરનું ઉદાહરણ જોયા પછી આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઇએ…

૧) ત્રણ-ચાર મહિના ભરપુર કૉપી-પેસ્ટ કરીને પોતાના બ્લૉગની ઈમેજ ખરાબ કરનાર એક બ્લોગર મિત્રે રમેશ ગુપ્તાની રચના કવિ નર્મદના નામે પ્રસિદ્ધ કરી છે!

રમેશ ગુપ્તાની રચના = http://www.mavjibhai.com/MadhurGeeto/yashgatha.htm

કવિ નર્મદના નામે! = http://rupen007.wordpress.com/2010/01/19/

૩) પોતાને ડૉ. શરદ ઠાકરનો હાર્ડકોર ફેન ગણાવતા એક બ્લોગર મિત્રે પોતાના બ્લોગની શરૂઆત ડૉકટર સાહેબની નવલિકાઓ કૉપી-પેસ્ટ કરીને કરી હતી અને કૉપી-પેસ્ટ કરવાની લ્હાયમાં રાઘવજી માધડની વાર્તાને ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે રજુ કરી છે!

રાઘવજી માધડની વાર્તા (દિવ્ય ભાસ્કર) = http://www.divyabhaskar.co.in/article/

ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે = http://natkhatsoham.wordpress.com/2010/05/01/

રાઘવજી માધડનો બ્લૉગ = http://raghavaji.blogspot.com

૪) નીચેની રચના વિશે ખાંખાખોળા કરશો તો અમુક બ્લોગ પર બકુલેશ દેસાઈના નામે પ્રસિદ્ધ થઈ હશે તો અમુક બ્લૉગ પર શિલ્પીન થાનકીના નામે વાંચવા મળશે! એવું કેમ બની શકે? એક જ રચના બે કવિઓની કેવી રીતે હોઈ શકે?

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

બકુલેશ દેસાઈના નામે મૂકનાર બ્લૉગની યાદી

શિલ્પીન થાનકીના નામે મૂકનાર બ્લૉગની યાદી

એક બ્લોગરે વર્ષો પહેલા ભૂલથી બકુલેશ દેસાઈના નામે મૂકી હતી પછી તેમણે ભૂલ સુધારી પણ લીધી પણ જૂના બ્લોગ પર એ ભૂલ એમ જ રહી જવા પામી અને જૂના બ્લોગ પરથી રચના કૉપી કરનાર કૉપીકેટ બ્લોગરના બ્લોગ પર હજીય બકુલેશ દેસાઈના નામે આ રચના વાંચવા મળે છે જ્યારે ખરેખર આ રચના શિલ્પીન થાનકીની છે!

ઉદાહરણ માટે આટલી રચનાઓ પૂરતી છે, બાકી ગણાવા બેસીએ તો અંત આવે તેમ નથી. શું તમારી રચના કોઈ બીજા નામે રજુ થાય તો તમને ગમે?

 

પ્રિય મિત્રો,

કૉપી-પેસ્ટ પરથી થોડા સમય પહેલા મને એક વાર્તાનો ‘પ્લૉટ‘ સૂજ્યો હતો અને કૉમેન્ટમાં લખ્યો હતો, આજે ફરી એવું થયું છે!

વાર્તાનો પ્લૉટ આમ છે:

બાપ-દિકરીનું નાનું કુટુંબ… મા બાળકીને જન્મ આપીને ગુજરી ગઈ હોય છે… બાપ દિકરીને ઉછેરીને મોટી કરે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતી દીકરી માતૃભાષાથી વિમુખ ન થઈ જાય તે માટે બાપ ગુજરાતી બ્લૉગ/વેબસાઈટ પરથી કવિતા વાંચીને દિકરીને સંભળાવે છે… એક દિવસ શહેરમાં આતંકવાદીઓનો  હુમલો… બાપ દિકરી અલગ… વર્ષો સુધી એકલા રહ્યા પછી એક જગ્યાએ બાપ દિકરી મળે છે… એક બીજાને ઓળખી શકતા નથી… દિકરીના લગ્ન થઈ ગયા હોય છે અને તેને એક દિકરી હોય છે… દિકરી પણ એન દિકરીને ગુજરાતી કવિતા ‘આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ‘ ગાઈને સંભળાવતી હોય છે… બાપ સાંભળી જાય છે… વર્ષો પહેલા બ્લૉગરે કરેલી ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ. ખાધું પીધુંને રાજ કર્યું!

ટાઈપ ભૂલ એક સામાન્ય વાત છે પણ એક ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ થાય છે તે બહુ જ સારી વાત છે. આ પ્લૉટ પરથી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બની શકે છે એ પણ એટલી જ સારી વાત છે પણ… કૉપી-પેસ્ટ સારી વાત નથી, નથી, નથી જ!

મૂળ વાત પર આવું તો, હમણાં એક બ્લોગ પર મેં વાસી અબ્બાસ અબ્દુલ અલી એટલે કે આપણાં મરીઝ સાહેબની રચના વાંચી:

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

રચનાની ઉપરની પંક્તિઓ વાંચતાં થયું કે આમાં કંઈક ગરબડ છે, પ્રાસ મળતો નથી. સતવી શબ્દ ભગવદ્‍ગોમંડળમાં પણ મળ્યો નહીં! થોડું વિચારતાં લાગ્યું કે ટાઈપ ભૂલ હશે અને સતવી ને બદલે સતાવી હોવું જોઈએ. કવિ મિત્રોને મેઈલ કરીને આ બાબતની ખાતરી કરી જોઈ, ટાઈપ ભૂલ જ છે અને સતવીને બદલે સતાવી જ હોવું જોઈએ. Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME