આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છે, તેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે.
જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છે, સૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.
* * * * * * * * * *
બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું.
બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.
(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.) Continue reading »