પ્રિય મિત્રો,
આજે ૨૬મી એપ્રિલ. આજે વિશ્વ બૌધિક સંપતિ દિવસ છે.
બીજું, ગયા રવિવારે અમારા વિસ્તારના રહેવાસીઓ મળીને એક પૂણ્યનું કામ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે માટે મિટિંગ બોલાવી હતી. હું એક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા મુંબઈ ગયો હતો તેથી આ મિટિંગમાં હાજર રહી શક્યો નહોતો. સોમવારે મુંબઈથી આવીને પડોસીઓ પાસેથી મિટિંગનો અહેવાલ મેળવ્યો અને તેમાં કલ્પનાના રંગો ઉમેરીને અહીં એક કટાક્ષ કથા તરીકે રજુ કરું છું આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે:
પાણી પીવડાવવાનું પૂણ્ય અને પીવાના પાણીની સમસ્યા
ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને થર્મોમિટરનો પારો ઊંચેને ઊંચે જઈ રહ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં વટેમાર્ગુની તૃષાતૃપ્તિ માટે પાણીની પરબ બનાવવી એવો પ્રસ્તાવ સિનિયર સિટિઝન તરફથી આવ્યો અને બધાએ મળીને આ પરોપકાર્ય કરી પૂણ્ય કમાવવાના પ્રસ્તાવને વધાવી લીધો.
પરબ માટે દરેક રહેવાસીએ પોતાના તરફથી યથાશક્તિ યોગદાન આપવાની અપીલ થઈ અને જોત જોતામાં પાણીના માટલા અને પ્યાલા માટેનું યોગદાન આપવા માટે રહેવાશીઓ આગળ આવ્યા અને અમારી બિલ્ડિંગની બી વિંગમાં ચોથા માળે રહેતા એક ભાઈએ માટલું અને બે પ્યાલાનું યોગદાન આપીને શુભ કાર્યની શરૂઆત કરી. તેમને જોઈને ડી વિંગમાં પહેલા માળે રહેતા ભાઈએ પણ પોતાના તરફથી એક માટલું અને બે પ્યાલા નોંધાવ્યા. આમ માટલા અને પ્યાલાની વ્યવસ્થા થઈ ગઈ.
આટલું થયું એટલે કોઈ બોલ્યું કે ૫૦ ટકા કામ પત્યું. પછી વાત આવી પરબ માટે જગ્યાની. તે માટે બધાની નજર અમારા વિસ્તારના રાજકી કાર્યકર તરફ ફરી અને તેમણે આ જવાબદારી પોતાના પર લઈ લીધી. છેલ્લે વાત આવી પાણીની. અમારા વિસ્તારમા પીવાના પાણીની બહુ જ સમસ્યા છે અને બોરવેલનું પાણી પીવા માટે યોગ્ય ગણવામાં આવતું નથી. નગરપાલિકા તરફથી આપાતું પીવાનું પાણી બહુ ઓછા સમય માટે અને અમુક બિલ્ડિંગમાં જ આવે છે.
એટલે (પીવાના) પાણીની ગંભીર સમસ્યા છે. હવે આનો ઉકેલ કેમ લાવવો તે માટે બહુ લાંબી ચર્ચા થઈ. રહેવાસીએ પોતાની રીતે અલગ અલગ ઉપાય સૂચવ્યા. તેમાંથી એક ઉપાય મને રસપ્રદ લાગ્યો તે એ હતો કે પાણી આપણે મીઠા પાણીથી છલોછલ ભરેલી અન્ય પરબમાંથી પાણી લઈ આવીને આપણી પરબના માટલામા રેડી દેશું! સિદ્ધાંતવાદી વડિલોએ આ પ્રસ્તાવ સખત રીતે વખોડી કાઢ્યો અને પાણીની વ્યવસ્થા ન થાય તો પરબનો વિચાર માંડીવાળવાનું કહ્યું. વ્યવહારીક વ્યક્તિઓનું કહેવું એમ હતું કે ઘી ક્યાંથી આવ્યું તે જોવાનું ન હોય, પરોપકારનો દિવડો સળગતો રહેવો જોઈએ.
આપનું શું કહેવું છે! પીવાના પાણીની સમસ્યા છે તો શું પાણી પીવડાવવાની પરબ બનાવવી જોઈએ કે નહીં? કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!
આ પ્રસ્તાવ બરાબર છે – બીજા પરબ વાળા પાસેથી પાણી લઈ આવવાથી એક થી વધારે પરબ પર પાણી મળશે. વળી બીજા પરબ વાળા પાસે પુરતો પાણીનો જથ્થો હશે તો પોતાની પરબ તો તે ભર્યા કરવાના છે.
મુળ વાત છે કે પાણી વીતરણ કરવું જોઇએ – પૂણ્યનું કામ છે ભાઈ
બહુ વિચાર માગીલે એવી વાત કહી વિનયભાઈ. રિસોર્સની વહેચણી એ દેશ અને વિશ્વની મુખ્ય સમસ્યા છે. પછી એ પૈસા હોય કે પાણી. કહેછે ધરતી પાસે બધાની જરૂરિયાત સંતોષી શકાય એટલું છે પણ લોભ પોષી શકાય એટલું નહિ. જો રિસોર્સની વ્યવસ્થિત વહેચણી કરવામાં આવે અને જ્યાં વધુ છે ત્યાંથી જ્યાં ઓછું અથવા નહીવત છે ત્યાં પહોંચાડવામા આવે તો ઘણી સમસ્યાઓનો નિવેડો આવી શકે.
કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલા તેના યોગ્ય રિસોર્સ નક્કી કરી લેવા જરૂરી, ઘણી વખત /મોટાભાગે આપને આરંભે શૂરા હોય છે, પછી તે કાર્ય યોગ્ય રીતે ચાલે કે નહિ તેની કોઈ પરવા કરતાં નથી હોતા. જેના કરતાં કાર્ય શરૂ જ ના કરીએ તો કદાચ યોગ્ય ગણાય ? પરંતુ જો સહકારથી કાર્ય શરૂ કરી શકાતું હોય અને યોગ્ય સમય સુધી નભી શકતું હોય તો જરૂર કરવું જોઈએ.
અમારા અખબાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ રાખ્યું હતું ‘જલ હૈ તો કલ હૈ’ આ ઉપરાંત હોળીમાં પણ અમારી સંસ્ાથા દ્વારા પાણી વિના માત્ર તિલક કરીને પ્રતિકાત્મક હોળી રમવા માટે પણ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઘમી સંસ્થાઓ પાણી બચાવવા માટેના પ્રયાસો કરે છે તેના અંગેના અભિયાનો પણ ચલાવે છે પરંતુ લોકો તેને સમજી શકતાં નથી. અમારી સોસાયટીમાં દરેક બ્લોકની નીચે એક બાથરૂમ (કોમન) આપવામાં આવ્યો છે જે સિક્ોિરટી ગાર્ડ કે સ્વીપર માટે કામ લાગે તેવો છે પરંતુ રોજ સવારે ગાડી સાફ કરનારા માણસો તેમાંથી પાણીની બાલદદીઓ ભરીને ગાડી ધોવાનું કામ કરે છે અને પાણીનો વ્યય કરે છે. આ તો છોડો ઘણા લોકો પોતાનાં ઘરનાં પાળેલાં કૂતરાઓને નવડાવા માટે પણ તે બાથરૂમમાંથી જ પાણીનો ઉપયોગ કરે છે. લોકોને કોણ સમજાવે?
હોસ્પીટલમાં ખાટલા ઓછા છે અને દર્દીઓનો ધસારો થતો રહે છે. કોઈ સમાજ સેવકને પુછીયે કે શું કરો છો તો કહે મદદ કરું છું અને મારી પાસે જે આવે એને હોસ્પીટલમાં દાખલ કરાવી આપુ છું. ટુંકમાં એ ખાટલા લાઈનમાં નહીં પણ આવા કાર્યકરો દ્વારા ફાળવવામાં આવે છે અને ઘણી વખત ગરીબ જેમને કોઈ ઓળખાણ પીછાણ ન હોય એ રહી જાય છે…. આ પણ એક સેવાનો પ્રકાર છે….